3 જુલાઈએ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે તેમજ આગામી દિવસો માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી વરસાદે જોર પકડ્યું છે
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી છે.
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે 4થી 8 જુલાઈ 2026 દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજ્યમાં સતત આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, સમગ્ર દિલ્હી, મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, નીમચ, ટોંક, ભિવાની અને ભટિંડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. આજે ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠે દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને કચ્છના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠે અનાવશ્યક અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.