હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ખેડૂતો માટે ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે. તેઓ અભ્યાસ કરીને જે આગાહી કરે છે તે લગભગ સાચી પડતી હોય છે. હવે તેઓએ બિપોરજોય વાવાઝોડા અંગે પણ વાત કરી છે અને કેટલીક મહત્વની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડું આક્રામક અને તોફાની હશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ જણાવે છે કે, આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે તારીખ 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. તેમણે નક્ષત્રોની વાત કરીને દરિયામાં પવનો બદલાતા હોવાનું પણ જણાવ્યું છે.
જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે તેવું અંબાલાલ જણાવે છે. વાવાઝોડાના ટ્રેકને સમજવું સહેલું ના હોવાનું પણ તેઓ કહે છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર ગુજરાત પર થશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.
અંબાલાલ કહે છે કે જો બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થઈ શકે છે, અને અહીં અતિભારે વરસાદ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે, ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે.
અટકી ગયેલા ચોમાસુ કયા પહોચ્યુ?
અટકી ગયેલા ચોમાસા અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8 અને 9 તારીખ દરમિયાન કેરળ કાંઠે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે આગામી સમયના હવામાન અંગે વાત કરીને જે સંભાવનાઓ વ્યક્ત કરી તે પછી તેમણે હવામાન વિભાગ આ મામલે વધુ સચોટ આગાહી કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.
હવામાન વિભાગે વાવાઝોડા અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, બિજપોર વાવાઝોડું સવારે 5.30 વાગ્યે અરબી સમુદ્રમાં પૂર્વમધ્ય અને દક્ષિણપૂર્વમાં હતું. જે ગોવાથી દક્ષિણપશ્ચમમાં 790 કિલોમીટર દૂર છે. વાવાઝોડું આગામી કલાકોમાં વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે.