મહત્વનું છે કે, ગઈકાલે અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ તરફ આજે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કાલકા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કુંકરમુંડામાં પોણા 2 ઈંચ, નવસારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે.
માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે.